Friday, February 26, 2010

૧૫મી સદીમાં ચન્દ્ર હતો ત્યારે અમદાવાદની પહેલી ઇંટ નખાઈ હતી


૧૫મી સદીમાં ચન્દ્ર હતો ત્યારે અમદાવાદની પહેલી ઇંટ નખાઈ હતી. મૂળે આશા ભીલની આશાપલ્લી નગરી તરીકે ઓળખાતા આ શહેરની પ્રજાએ સાબરમતીનું પાણી પીને મોગલ સલ્તનતો સામે સદીઓ પહેલાં અનેક સંગ્રામો છેડયા હતા જેનો ગૌરવવંતો ઈતિહાસ સુવર્ણ અક્ષરોમાં કંડારાયેલો છે. એ સમયે સાબરમતી નદી માણેકચોકમાંથી વહેતી હતી ને એના કિનારે ઝૂંપડી બાંધીને રહેતા માણેકબાવાનો ચમત્કારિક ઈતિહાસ પણ અમદાવાદના સર્જન સાથે વણાયેલો છે. માણેકબાબા ગૂઢ શક્તિના મલિક હોવાનું મનાતું હતું. ભદ્રના લોકો અને કોટના બાંધકામના બાદશાહના નિર્ણયથી કંઈક નારાજ માણેકનાથ બાબાએ આ કામને આગળ વધતું અટકાવવા યુક્તિ અજમાવી.

દંતકથા મુજબ દિવસે સોય-દોરાની મદદથી ગોદડી સીવતા બાબા રાત પડે સિલાઈના દોરો ઉકેલી નાખતા. એ સાથે જ ચણાયેલો કોટ પણ પડી જતો. બાદશાહને જ્યારે માણેકનાથ બાબાના આ કરતૂતની ખબર પડી ત્યારે વધુ ચમત્કાર જોવાના આશયથી ઝૂંપડીએ ગયાં. બાબાએ લોટામાં પ્રવેશી બહાર નીકળી શકવાની પોતાની શક્તિની વાત કરી. બાદશાહે એમ કરવા કહ્યું અને પછી તુરંત લોટાનું મોઢું બંધ કરી દીધું. બાબાએ કોટ પાડી નહીં નાંખવાની ખાતરી આપી અને પોતાની યાદ કાયમી રહે એવી જોગવાઈ માંગી લીધી. બાદશાહે એ માગણી પૂરી કરવા જે પ્રથમ બુરજ બાંધ્યો એ જ માણેક બુરજ.

No comments: